25/07/2023
રાજકારણે ધર્મનું શરણું લીધું હોય ત્યારે ધર્મનું પરિરૂપ કેવું હોય તે રામે દર્શાવ્યું છે, જનકે દર્શાવ્યું છે, આપણા સમયમાં ગાંધીએ દર્શાવ્યું છે. કંઈક અંશે સિદ્ધરાજે પણ એવો દ્રષ્ટિકોણ રાખ્યો છે. કોઈએ 'ધર્મ'નો પ્રયોગ સત્તાકારણ માટે, સત્તા ટકાવી રાખવાના એક સાધન થઈ ને કર્યો નથી. સમયે સમયે ત્યાં 'ધર્મ' સદ્નો પક્ષ લેતો રહ્યો છે. હવે પરિસ્થિતિ શીર્ષાસન કરી રહી છે. સત્તાકારણ માટે ધર્મનું વિકૃતિકરણ થઈ રહ્યું છે. જે 'ધર્મ' નરી અંગત બાબત છે તે ધર્મને હેઈસો હેઈસોનું રૂપ આપીને ટોળાનું- જાહેર બાબતનું, રૂપ આપણે આપી રહ્યા છીએ. કોઈપણ શાસન હોય, વિશ્વના કોઈપણ ખૂણાનું એ શાસન હોય, જો ધર્મને તે શાંતિને બદલે સ્વાર્થનું કારણ બનાવી રહે, અશાંતિ સર્જવાનું કે પ્રજાને ગુમરાહ કરવામાં તેનો ઉપયોગ કરવો શરૂ થાય તો એવા દેશે-પ્રજાએ કલ્પ્યાં હોય તેવાં માઠાં પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડે. ધર્મનો કોઈ શાસને જ્યારે જ્યારે દુરુપયોગ કર્યો છે ત્યારે પ્રજાને જ સહન કરવાનું આવ્યું છે.
યાદ રાખીએ કે ધર્મ આસ્થા છે, શ્રદ્ધા છે, તે આત્માના કલ્યાણ માટે છે, સુખ શાંતિ અને સદ્કાર્ય માટેનો તે રસ્તો છે. એના બદલે ધર્મને કોઈ કોમ સાથે સાંકળી, મંદિર-મસ્જિદ-ચર્ચ કે દેવાલયને રવાડે ચઢાવી, ઈશ્વરનાં જુદાં જુદાં નામોને ખોટી રીતે ઉછાળી પ્રજાને ધર્મને નામે વિમાર્ગે દોરવાનું જ્યારે જ્યારે બન્યું છે ત્યારે તેનું અકલ્પ્ય એવું ઘાતક પરિણામ આવ્યું છે. વિશ્વનાં ધર્મયુદ્ધોનો ઈતિહાસ આપણી સમક્ષ છે જ. ધર્મનાં તડાં, પ્રજાનાં તડાં, પ્રજાની વિચારણાનાં તડાં, પ્રજાની સંવેદનશીલતા પર કૃતક પ્રહારો આ બધું સમાજને ધર્મને નામે છિન્નભિન્ન કરી મૂકે છે.