07/09/2026
📌*'નમામિ દેવી નર્મદે' ના નારા અને પ્લાસ્ટિકની આહુતિ, આપણી આ કેવી ભક્તિ❓*
* આપણે એવા મહાન ભક્તો છીએ જેઓ સવાર-સાંજ "નમામિ દેવી નર્મદે" ના પાઠ કરીએ છીએ, પણ ઘરની બહાર નીકળતા જ નર્મદા મૈયાને પ્લાસ્ટિકની થેલીઓનો "અર્ઘ્ય" આપવાનું ચૂકતા નથી.
* આ કરૂણ દૃશ્ય જોઈને ખરેખર દરેક ભરૂચવાસીઓનું મસ્તક શરમથી ઝૂકી રહ્યું છે. જે નર્મદા નદીને આપણે માં કહીને સંબોધિત કરીએ છીએ એ નદીમાં આપણે પ્લાસ્ટિકની થેલીઓ અને કચરો નાખીને પ્રદૂષિત કેમ કરીએ છીએ❓
* નદીઓને પ્રદૂષિત થતી બચાવવા માટે સરકાર દ્વારા બ્રિજ (પુલ) પર ઊંચી જાળી અને કાંટાળા તાર લગાવવામાં આવે છે, જેથી લોકો પૂજા-સામગ્રી કે પ્લાસ્ટિકનો કચરો સીધો નદીમાં ન ફેંકે. પરંતુ લોકો કચરાની થેલીઓ નદીમાં ફેંકવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે તે કાંટાળા તારમાં ફસાઈ જાય છે. આનાથી ગંદકી ફેલાય છે અને સરકારના આ સરાહનીય પ્રયાસનો હેતુ નિષ્ફળ જાય છે.
* પવિત્રતાના નામે પ્લાસ્ટિકની કોથળીઓમાં સડેલા ફૂલો, નાળિયેર અને ઘરનો કચરો ભરીને નદીમાં પધરાવનારાઓ કદાચ એવું માને છે કે નર્મદા મૈયા પાપ ધોવાની સાથે-સાથે પ્લાસ્ટિક પચાવવાનું પણ કામ કરે છે. જો આપણે આપણી જીવાદોરી સમાન નદીને જ કચરાપેટી સમજી બેસીશું, તો ભવિષ્યમાં આ પવિત્ર જળ નહીં, પણ પ્રદૂષણનું ઝેર આપણા જ ઘરે નળમાં પાછું આવશે. જાગો ભરૂચવાસીઓ, જાગો! ભક્તિ હૃદયમાં હોવી જોઈએ, બ્રિજ પરથી કચરો ફેંકવામાં નહીં.
* આવી બેજવાબદાર પ્રવૃત્તિઓને રોકવા માટે ભરૂચ વહીવટી તંત્ર, નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પણ હવે કડક કાર્યવાહી શરૂ થવી જ જોઈએ, કારણકે માં નર્મદાને પ્રદૂષિત થતી રોકવી એ આપણી નૈતિક ફરજ છે.
* તંત્ર અને પોલીસ બંને સંયુક્ત રીતે કડક ઓપરેશન હાથ ધરીને કચરો ફેંકનારાઓને રંગેહાથ પકડે અને સોશિયલ મીડિયા પર તેમના નામ જાહેર કરે, જેથી ભરૂચની જીવાદોરી સમાન માં નર્મદાને પ્રદૂષિત થતી બચાવી શકાય.
* બ્રિજ પર ચોક્કસ અંતરે હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવા જોઈએ. બ્રિજ પર ગાડી ઊભી રાખીને કચરો ફેંકનારાઓના વાહન નંબર પ્લેટના આધારે સીધા તેમના ઘરે મોટો આર્થિક દંડ (ઈ-મેમો) મોકલવો જોઈએ.
* કચરો ફેંકતા પકડાયેલા લોકોના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર અથવા બ્રિજ પરના મોટા ડિજિટલ બોર્ડ પર "ગંદકી કરનારા નાગરિક" તરીકે જાહેર કરવા જોઈએ, જેથી સામાજિક શરમથી લોકો આવું કરતા અટકે.
* બ્રિજ શરૂ થતા પહેલા અને પુરો થયા પછી પૂજા સામગ્રી કે કચરો જમા કરાવવા માટે સ્પેશિયલ કલેક્શન બોક્સ મૂકવા જોઈએ, જેથી લોકોને કચરો ફેંકવા માટે બહાનું ન મળે.
* બ્રિજ પરથી નર્મદા મૈયાના દર્શન કરીને ધન્યતા અનુભવવાની હોય, તેના બદલે ત્યાં લટકતી પ્લાસ્ટિકની કોથળીઓ જોઈને ભરૂચનું માથું શરમથી ઝૂકી જાય છે. આ હરકત માત્ર પર્યાવરણને જ નુકસાન નથી પહોંચાડી રહી, પરંતુ ભરૂચની શાન સમાન આ કરોડોના બ્રિજની શોભાને પણ કલંકિત કરી રહી છે.
* જે પ્લાસ્ટિક આખી પૃથ્વીનો વિનાશ કરી રહ્યું છે, તેને ધર્મના નામે માં નર્મદાની ગોદમાં પધરાવતી વખતે આવી હલકી પ્રવૃતિ કરનારાઓનો આત્મા કેમ નથી કંપતો❓ લોખંડની જાળીઓ તો વહીવટી તંત્રે ઊંચી કરી દીધી, પણ આપણી આ નીચી માનસિકતાનું શું કરવું❓
* કચરો ફેંકતા પકડાયેલા લોકો પાસેથી માત્ર ૨૦૦ કે ૫૦૦ રૂપિયા નહીં, પણ એટલો મોટો આર્થિક દંડ વસૂલવામાં આવે કે બીજી વાર કચરો ફેંકતા ધ્રુજારી છૂટી જાય.
* અને અંતે એટલું ચોક્કસ કહીશ કે માં નર્મદા આપણી જીવાદોરી છે. જો આપણે તેને સાફ ન રાખી શકીએ, તો તેને ગંદી કરવાનો હક પણ આપણને નથી. તંત્ર તેની ફરજ નિભાવશે, પણ એક નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આવા કચરો ફેંકતા તત્વોને ત્યાં જ રોકીએ અને ટોકીએ. કેમકે રોજ નર્મદા મૈયા બ્રિજ પર બાઇક અને ચાર ચક્રીય વાહનો અધવચ્ચે અટકાવી નર્મદામાં પ્લાસ્ટિકની આખે આખી થેલીઓ જ ફેંકાય રહી છે,તો બીજી તરફ કોવિડ સ્મશાનગૃહ પાસે આવેલ માર્ગ પરથી પણ વાહનચાલકો નર્મદા મૈયા બ્રીજની નીચે આવીને પૂજાપો ભરેલી પ્લાસ્ટિકની આખેઆખી થેલીઓ જ નર્મદામાં રીતસરની ફેંકીને જતા રહે છે.જો આજે આપણે જાગૃત નહીં થઈએ, તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
ધવલ જે કોરલવાલા...✍🏼
બોલ સે ભરૂચ જાગૃત નાગરિક
ભરૂચ
⚔️સત્યમેવ જયતે⚔️
🇮🇳 જય હિંદ,જય ભારત🇮🇳
🙏🏻જય ગરવી ગુજરાત🙏🏻