08/06/2026
દેશનું ભવિષ્ય અને ખાનગીકરણનો પડછાયો: એક ગંભીર ચિંતન
આજે ભારતનો યુવા વર્ગ એક વિચિત્ર અને ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના વિકાસમાં જેનો સિંહફાળો રહ્યો છે, તેવા જાહેર સાહસો (Government Companies) અને રાષ્ટ્રીય મિલકતોનું જે ઝડપે ખાનગીકરણ થઈ રહ્યું છે, તેનાથી દેશના ભવિષ્ય સામે અનેક સવાલો ઊભા થયા છે.
૧. સરકારી નોકરીઓનો અંત અને યુવાનોનું શોષણ
સરકારી કંપનીઓ માત્ર નફો કમાવવાનું સાધન નહોતી, પરંતુ તે દેશના લાખો મધ્યમ અને ગરીબ વર્ગના યુવાનો માટે સુરક્ષિત રોજગારી અને સન્માનજનક જીવનનો આધાર હતી.
રોજગારીની તકોમાં ઘટાડો:- સરકારી સંસ્થાઓ વેચાવાથી નવી સરકારી ભરતીઓ કાં તો બંધ થઈ ગઈ છે અથવા ખૂબ મર્યાદિત થઈ ગઈ છે. જેના કારણે વર્ષો સુધી તનતોડ મહેનત કરનાર હોંશિયાર યુવાનો નોકરીઓથી વંચિત રહી જાય છે.
*ખાનગી ક્ષેત્રમાં શોષણ:- પ્રાઈવેટ સેક્ટરમાં અતિશય કામના કલાકો, મનસ્વી નિયમો અને નોકરીની કોઈ ગેરંટી હોતી નથી. યુવાનોએ ખૂબ જ ઓછા પગારે અને માનસિક તણાવ વચ્ચે શોષણનો શિકાર બનીને કામ કરવું પડી રહ્યું છે.
૨. નફાકારક કંપનીઓનું વેચાણ: કોના ભોગે?
સૌથી વધુ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે જે સરકારી કંપનીઓ દર વર્ષે કરોડો રૂપિયાનો નફો કરીને દેશની તિજોરી ભરતી હતી, તેને પણ સરકારે ખાનગી હાથોમાં સોંપી દીધી છે.
* જે મિલકતો દેશના કરદાતાઓના પૈસે અને દાયકાઓની મહેનતથી ઊભી થઈ હતી, તેને અચાનક વેચી દેવી એ દેશના આર્થિક સાર્વભૌમત્વ સામે મોટો ફટકો છે.
૩. મૂડીવાદનો ઉદય: અદાણી અને અંબાણીનું સામ્રાજ્ય
આજે દેશના એરપોર્ટ, પોર્ટ, પાવર ગ્રીડ, ટેલિકોમ અને રેલવે જેવા મહત્વના સંસાધનો પર નજર કરીએ તો ચારેય તરફ માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓ (જેમ કે અદાણી અને અંબાણી) નું જ વર્ચસ્વ જોવા મળે છે.
ઈજારો (Monopoly):- આ પ્રક્રિયા દેશની અર્થવ્યવસ્થાને 'લોકશાહી' માંથી 'મૂડીશાહી' (Crony Capitalism) તરફ ધકેલી રહી છે. દેશની સંપત્તિ થોડાક જ માનીતા ઉદ્યોગપતિઓના હાથમાં કેન્દ્રિત થઈ રહી છે, જે સામાન્ય નાગરિકો માટે ખતરાની ઘંટડી છે.
#યુવા_રોજગારી