02/06/2026
અંજાર સ્થિત મુરલીધર વિદ્યાલય ખાતે યોજાયેલા સંઘ શિક્ષા વર્ગના વર્ગ કાર્યવાહ શ્રી દિપકભાઈ ગમઢાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પ્રાંતના 194 સ્થાનોથી કુલ 284 સ્વયંસેવકો આ વર્ગમાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓએ શારીરિક, બૌદ્ધિક, સેવા તથા વ્યવસ્થા સંબંધિત વિવિધ કૌશલ્યોનું પ્રશિક્ષણ મેળવ્યું હતું.
વર્ગ દરમિયાન અંજાર નગર તથા આસપાસના વિસ્તારોની આશરે 5000 માતૃશક્તિએ ‘માધુકરી યોજના’ અંતર્ગત રોટલી-શાકનો સહયોગ આપ્યો હતો. ઉપરાંત 145 પરિવારો દ્વારા ‘માતૃહસ્તે ભોજન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી દિપકભાઈ ગમઢાએ તમામ સહયોગી પરિવારો અને માતૃશક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમારોહના અતિથિ વિશેષ તથા કચ્છ પાટણ આહીર સમાજના પ્રમુખ શ્રી તેજાભાઈ રમાભાઈ કાનગડે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દેશના કોઈપણ સંકટકાળમાં સંઘના સ્વયંસેવકો સેવા કાર્ય માટે સૌથી પહેલાં આગળ આવે છે. સમાજ અને રાષ્ટ્ર સામે ઊભા થતા પડકારોનો સામનો કરવામાં સંઘના સ્વયંસેવકો મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે વર્ગ માટે સમાજની બોર્ડિંગનો ઉપયોગ કરાયો તે બદલ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી સુનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં 101 સ્થાનો પર સંઘ શિક્ષા વર્ગો યોજાઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંઘ કોઈ લશ્કરી સંગઠન કે અખાડો નથી, પરંતુ તેનું ધ્યેય વૈભવસંપન્ન, શક્તિસંપન્ન અને સંગઠિત હિંદુ સમાજનું નિર્માણ કરીને રાષ્ટ્રના પુનઃનિર્માણનું છે.
તેમણે સંઘના સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવારના જીવન અને કાર્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમણે સામાન્ય વ્યક્તિ તરીકે એક અનોખી પદ્ધતિથી સંગઠનનું નિર્માણ કર્યું. છેલ્લા 100 વર્ષમાં સંઘની શાખાઓ દ્વારા સમાજમાં આત્મીયતા અને રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો સતત પ્રયાસ થયો છે, જેના કારણે સ્વયંસેવકો સમાજના સુખ-દુઃખને પોતાનું સુખ-દુઃખ માને છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આજે સમાજમાં હિંદુ ઓળખ પ્રત્યેની જાગૃતિ અને ગૌરવની ભાવના વધતી જઈ રહી છે. સંઘની સદી લાંબી યાત્રા બાદ સમાજમાં હિંદુ ચૈતન્ય વધુ મજબૂત બન્યું છે અને સજ્જન શક્તિઓ રાષ્ટ્રકાર્યમાં જોડાવા માટે આગળ આવી રહી છે. સંગઠિત અને શક્તિસંપન્ન હિંદુ સમાજના આધારે ભારતને ફરીથી વિશ્વમાં ‘જગતજનની’ના સ્થાન પર પ્રતિષ્ઠિત કરવાની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.