02/09/2026
તા: ૦૨/૦૯/૨૦૨૬
સુરત
આણંદ જીલ્લામાંથી વધુ એક અંગદાન Donate Life સંસ્થા દ્વારા કરમસદ ની Shree Krishna Hospital and Medical Research Centre માંથી કરાવવામાં આવ્યું.
૯ વર્ષીય બાળક આકાશ બ્રેઇનડેડ થતાં તેના દાદા એ વ્હાલસોયા પૌત્ર ના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતા ની મહેક પ્રસરાવી અને સમાજ ને અંગદાન – જીવનદાન નો સંદેશ આપ્યો.
કિડની અને લિવર સમયસર અમદાવાદ IKDRC પહોચાડવા માટે કરમસદ ની શ્રી ક્રિષ્ણા હોસ્પિટલથી અમદાવાદની IKDRC સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર આણંદ શહેર પોલીસના સહકાર થી બનાવવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં વિવિધ અંગોનું દાન કરાવીને દેશ - વિદેશના કુલ બારસો નેવું થી વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
બનાવની વિગત :
મોરીનો કુવો, કુંજરાવ, આણંદ ખાતે પોતાના દાદાજી વાઘજીભાઈ મેલાભાઈ પરમાર સાથે રહેતો અને કુંજરાવની કુમાર શાળામાં ધોરણ ૨ માં અભ્યાસ કરતો ૯ વર્ષીય આકાશ તા. ૨૮ ઓગસ્ટના રોજ સાંજે ૪ : ૩૦ વાગ્યે પોતાના મોટાભાઈ પ્રકાશ ઉ. વ. ૧૨ સાથે તરસાડ - તલાવડી રોડ પરથી ચાલીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા આકાશને માથામાં ગંભીર ઈજા થઈ અને તે બેભાન થઇ ગયો હતો.
તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારસા CHC સેન્ટર ખાતે લઈ જઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ આણંદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને કરમસદની શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં પીડીયાટ્રીક ઇન્ટેન્સિવિસ્ટ ડો. અમિત શાહની સારવાર હેઠળ દાખલ કરાયો હતો. CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
તા. ૨ સપ્ટેમ્બર ના રોજ મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જીતેશ દેસાઈ, આસીસ્ટન્ટ પ્રોફેસર પીડીયાટ્રીક ICU કન્સલ્ટન્ટ ડૉ. ભવદીપ મુંગલા, ન્યુરોસર્જન ડૉ. મિરાંત દોશી અને પીડીયાટ્રીક ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. અમિત શાહે આકાશ ને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.
ડૉ. અમિત શાહે ડોનેટ લાઈફ ની આણંદ ટીમના સભ્યો નીખીલ શાસ્ત્રી અને સુનીલ શાહ નો ટેલીફોનીક સંપર્ક કરી આકાશ ના બ્રેઈનડેડ અંગેની જાણ કરી હતી.
ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશ પટેલ, ડોનેટ લાઈફ આણંદ ટીમના નીખીલ શાસ્ત્રી, શૈલુ પટેલ (કોમ્ફી), સુનીલ શાહે કરમસદની શ્રી ક્રિષ્ણા હોસ્પિટલ પહોંચી મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જીતેશ દેસાઈ સાથે રહીને આકાશના દાદા વાઘજીભાઈ, દાદી શારદાબેન, ફૂવા દેવેન્દ્રભાઈ, દાદા ચીમનભાઈ (વાઘજીભાઈ ના નાના ભાઈ), તેમજ પરિવાર ના અન્ય સભ્યો ને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
આકાશના દાદા વાઘજીભાઈ એ જણાવ્યું કે, અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ, જીવનમાં કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી, કમનસીબે મારો પૌત્ર બ્રેઈનડેડ છે, શરીર તો રાખ જ થઇ જવાનું છે, ત્યારે મારા પૌત્ર ના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. આકાશના પરિવારમાં દાદા વાઘજીભાઈ પરમાર ઉં.વ. ૬૭ અને દાદી શારદાબેન પરમાર ઉં.વ. ૬૫ જેઓ ખેતમજુરીનું કામ કરે છે. તેમજ મોટો ભાઈ પ્રકાશ ઉં.વ. ૧૨ જે કુંજરાવની કુમાર શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરે છે.
SOTTO દ્વારા બંને કિડની અને લિવર અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદ ની IKDRC માં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન શ્રી ક્રિષ્ણા હોસ્પિટલ કરમસદે સ્વીકાર્યું.
કિડની અને લિવર સમયસર અમદાવાદ IKDRC પહોચાડવા માટે કરમસદ ની શ્રી ક્રિષ્ણા હોસ્પિટલથી અમદાવાદની IKDRC સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર આણંદ શહેર પોલીસના સહકાર થી બનાવવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
માનવતાના આ મહાયજ્ઞમાં અમુલ્ય અંગોનું દાન આપનાર પુણ્ય નિષ્ઠ સ્વ. આકાશ ભરતભાઈ પરમાર ઉ.વ ૯ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં આકાશના દાદા વાઘજીભાઈ પરમાર, દાદી શારદાબેન, ફૂવા દેવેન્દ્રભાઈ, દાદા ચીમનભાઈ (વાઘજીભાઈ ના નાના ભાઈ) તેમજ પરિવાર ના અન્ય સભ્યો, શ્રી ક્રિષ્ણા હોસ્પિટલના મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જીતેશ દેસાઈ, આસીસ્ટન્ટ પ્રોફેસર પીડીયાટ્રીક ICU કન્સલ્ટન્ટ ડૉ. ભવદીપ મુંગલા, ન્યુરોસર્જન ડૉ મિરાંત દોશી, પીડીયાટ્રીક ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. અમિત શાહ, શ્રી ક્રિષ્ના હોસ્પિટલ ના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફ ના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલ, ડોનેટ લાઈફ આણંદ ટીમ ના નિખિલ શાસ્ત્રી, સુનીલ શાહ (બોરીયાવી), શૈલુ પટેલ (કોમ્ફી), કિરણ પટેલ (કોમ્ફી), પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, વિશાલ ચૌહાણ, નયન ભરવાડ નો સહકાર સાંપડ્યો હતો.
ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૪૦૦ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૬૦ કિડની, ૨૪૫ લિવર, ૫૯ હૃદય, ૫૬ ફેફસાં, ૧૦ પેન્ક્રીઆસ, ૧૧ હાથ, ૧ નાનું આતરડું અને ૪૫૮ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૯૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
અંગદાન... જીવનદાન...
ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ પર ક્લિક કરો: https://www.donatelife.org.in/