04/06/2021
"ઝાંઝમેર માટે ગૌરવની વાત"
ગુજરાતી પત્રકારત્વને નવી ઊંચાઈએ લઈ જનારા વિખ્યાત પત્રકાર અને મારા ગુરુ કાન્તિ ભટ્ટના ઘર નજીકના માર્ગને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 'પત્રકાર કાન્તિ ભટ્ટ' નામ અપાયું. આજે એ રોડનું સત્તાવાર રીતે નામકરણ થયું. મારા બીજા ગુરુ એવા વિખ્યાત વૈજ્ઞાનિક ડૉક્ટર જે.જે. રાવલે શ્રીફળ વધેર્યું અને પછી એ વિસ્તારના કોર્પોરેટર બીના દોશી અને કાન્તિભાઈના ચાહક ભરત મહેતાના હસ્તે આ રોડના બોર્ડનું અનાવરણ કરાયું. એ વખતે માનસપટ પરથી કાન્તિભાઈ સાથેની ત્રણ દાયકાની અનેક સ્મૃતિઓ પસાર થઈ ગઈ અને આંખો ભીંજાઈ ગઈ.
મહાનગરપાલિકાએ આ રોડને કાન્તિ ભટ્ટનું નામ આપવા માટે ઘણા સમય અગાઉ મંજૂરી આપી દીધી હતી, પણ કોઈ નિયમને કારણે ટૂંકી નોટિસમાં આજના નાનકડા કાર્યક્રમનું આયોજન કરાયું એને કારણે મારા ગુરુ Sheela Bhatt દિલ્હીથી આવી ન શક્યા. તેમને બહુ મિસ કર્યા.
કાન્તિભાઈનું નામ રોડને અપાવવાનો વિચાર જેમણે સૌપ્રથમ રજૂ કર્યો હતો એવા ન્યુઝપેપર વિક્રેતા અને કાન્તિભાઈના ચાહક એવા ભરત મહેતાનો, કાન્તિભાઈનું નામ આ રોડને આપવા માટે મહાનગરપાલિકામાં દરખાસ્ત મૂકનારા કોર્પોરેટર બીના દોશીનો તથા આ કામમાં મદદરૂપ બનેલા સંસદસભ્ય - અઢી દાયકા જૂના મિત્ર ગોપાલ શેટ્ટી સહિત તમામ વ્યક્તિઓનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું.
* મુંબઈ મહાનગરપાલિકાના બોર્ડમાં જોડણીની ભૂલ રહી ગઈ છે એવું અમને પણ લાગ્યું હતું, પણ પછી વરિષ્ઠ લેખક નિરંજન મહેતાએ પ્રકાશ પાડ્યો કે "મરાઠીમાં ઇકારાન્ત શબ્દમાં છેલ્લો ઇ હંમેશા દીર્ઘ લખાય છે. અને BMC(મુંબઈ મહાનગપાલિકાનું) બોર્ડ છે એટલે એ મરાઠીમાં લખાયું છે."
Aashu Patel ની વોલમાંથી