Info Vadodara GoG

Info Vadodara GoG Regional Information Office in Vadodara. Government of Gujarat.
सत्यमेव जयते

‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત વડોદરામાં પેડલ ક્લીનર સાયક્લોથોન યોજાઈવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ૧...
06/09/2026

‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત વડોદરામાં પેડલ ક્લીનર સાયક્લોથોન યોજાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ૧૦૦૦થી વધુ નગરજનોની ઉત્સાહભેર સહભાગિતા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા આગમનને પગલે વડોદરા મહાનગરપાલિકા અને વી બરોડિયન દ્વારા સંયુક્ત રીતે ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત વહેલી સવારે ‘પેડલ ક્લીનર વડોદરા સાયક્લોથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી યોજાયેલી આ સાયક્લોથોનમાં શહેરના નગરજનો, વિવિધ એનજીઓ, સાયકલિંગ ક્લબના સભ્યો, વિદ્યાર્થીઓ સહિત ૧૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, સાંસદ ડો. હેમાંગભાઈ જોશી, નાયબ મેયર શ્રી આદિત્યભાઈ પટેલ, અગ્રણી શ્રી જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય શ્રી સતિષભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, કાઉન્સિલરો, મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ના સંકલ્પ તથા ‘સન્ડે ઓન સાયકલ’ના સંદેશને સાકાર કરતી આ સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવાનો અને વડાપ્રધાનશ્રીના સ્વચ્છતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો હતો. સાયકલિંગ સાથે સ્વચ્છતાનો સંદેશ જોડીને નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ વડોદરા માટે સહભાગી બનવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ સાયક્લોથોન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી પ્રસ્થાન કરી દરબાર ચોકડી, વડસર બ્રિજ, જ્યુપિટર ચોકડી અને તુલસીધામ ચોકડી થઈ પુનઃ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગેના સંદેશ સાથે નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ સાયક્લોથોન દ્વારા વડોદરાવાસીઓએ સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસોમાં નાગરિકોની વ્યાપક સહભાગિતાએ અભિયાનને વધુ જનઆંદોલનરૂપ બનાવ્યું હતું.

સાવલી તાલુકાના પાંચ ગામોમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયોવિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ સેવાઓ અને યોજનાકીય લાભો...
05/09/2026

સાવલી તાલુકાના પાંચ ગામોમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ સેવાઓ અને યોજનાકીય લાભો અપાયા

સાવલી તાલુકામાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને ઘરઆંગણે અને સરળતાથી મળી રહે તે હેતુથી તા. ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ કનોડા, પરથમપુરા (શિ), પિલોલ, મેવલી અને વાંકાનેર ગામે સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કનોડા ગામે તાલુકા પંચાયત, સાવલીના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને તેમજ પરથમપુરા (શિ) ગામે તાલુકા પંચાયત, સાવલીના કારોબારી અધ્યક્ષશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તથા વિવિધ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા માતૃશક્તિ યોજના, બાળશક્તિ યોજના તથા 'પૂર્ણા' યોજના હેઠળ કુલ ૪૫૯ લાભાર્થીઓને વિવિધ સેવાઓ અને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. આ યોજનાઓના માધ્યમથી માતાઓ તથા બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના સરકારશ્રીના પ્રયાસોને વેગ મળ્યો હતો.

સમાજ કલ્યાણ વિભાગ હેઠળ વિધવા સહાય યોજનાના ૭, વયવંદના યોજનાના ૧ તથા નિરાધાર સહાય યોજનાના ૨ સહિત કુલ ૯ લાભાર્થીઓને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા આભા કાર્ડના ૨૯, એન.સી.ડી. કેમ્પ અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડના ૩૦૭, નમો શ્રી યોજનાના ૪૨, PMJAY યોજનાના ૮૮ તથા PMMY યોજનાના ૧ સહિત કુલ ૩૯૮ લાભાર્થીઓને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને અન્ય જરૂરી સેવાઓ પણ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં કુલ ૧૮૫ લાભાર્થીઓના આધારકાર્ડ અપડેટની કામગીરી તથા ૪૪ લાભાર્થીઓનું ફાર્મર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા લાભાર્થીઓને યોજનાઓ અંગે માર્ગદર્શન આપી જરૂરી કાર્યવાહી સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવી હતી.

આમ, સાવલી તાલુકાના પાંચ ગામોમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમોના માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને એક જ સ્થળેથી વિવિધ સેવાઓનો લાભ મળ્યો હતો. સરકારશ્રીની લોકકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચે અને નાગરિકોને સરકારી સેવાઓ માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે દિશામાં સેવાસેતુ કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

ડભોઇ તાલુકાના વિવિધ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયા હતા. અરજદારોને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય શ્...
05/09/2026

ડભોઇ તાલુકાના વિવિધ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયા હતા. અરજદારોને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વચ્છતા સે સ્વાગતવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન“સ્વચ્છ...
05/09/2026

સ્વચ્છતા સે સ્વાગત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન

“સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ”ના સંકલ્પ સાથે ૨૫૦ ગામોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ; ૩૧૩ ચો.કિ.મી. વિસ્તારમાં સફાઈ અને ૧,૮૩૫ મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના વડોદરા પ્રવાસના અનુસંધાને જિલ્લા પ્રશાસન દ્વારા વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર ગામોના નિર્માણના ઉદ્દેશ્ય સાથે ગ્રામ પંચાયતો દ્વારા સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે સમગ્ર તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

વિશેષ સેવા અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના અંદાજે ૨૫૦ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન કુલ ૩૧૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. ઉપરાંત, આશરે ૫૦૫ કિલોમીટર જેટલા રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી તેમજ અંદાજે ૧,૮૩૫ મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી હતી.

અભિયાન દરમિયાન ગામોના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, ગામના ચોરા, ગ્રામ પંચાયત કચેરીઓ, શાળા પરિસરો તેમજ અન્ય જાહેર સ્થળોએ સઘન સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે તળાવો, કુવાઓ, જળાશયો તથા તેના આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી કચરો અને ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા. જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે અને સ્વચ્છ પર્યાવરણનું નિર્માણ થાય તે માટે ગ્રામ પંચાયતો દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયતો દ્વારા ઘન કચરાના સંગ્રહ, પરિવહન અને યોગ્ય નિકાલની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી હતી. સફાઈ કામગીરી સાથે ગ્રામજનોમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ કેળવવા માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરી સ્વચ્છતાને માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન રાખી તેને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ સમગ્ર વિશેષ સેવા અભિયાનના પરિણામે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, સુંદરતા અને સ્વસ્થ પર્યાવરણ જાળવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા અંગે નાગરિકોની જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી તથા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા આ સઘન સફાઈ અભિયાન દ્વારા “સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા, આરોગ્ય અને સુંદર પર્યાવરણને પ્રાથમિકતા આપીને ગ્રામ પંચાયતો, વહીવટી તંત્ર અને ગ્રામજનોની સહિયારી ભાગીદારીથી ગામોને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાની કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય કક્ષાએ વડોદરા જિલ્લા શિક્ષણ તંત્રને ગૌરવપૂર્ણ સિદ્ધિશૈક્ષણિક પ્રશાસનમાં નવતર પ્રયોગો અને શ્રેષ્ઠ કાર્ય માટે જિ...
05/09/2026

રાષ્ટ્રીય કક્ષાએ વડોદરા જિલ્લા શિક્ષણ તંત્રને ગૌરવપૂર્ણ સિદ્ધિ

શૈક્ષણિક પ્રશાસનમાં નવતર પ્રયોગો અને શ્રેષ્ઠ કાર્ય માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ પાંડેનું નવી દિલ્હી ખાતે સન્માન.

વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ સર્જાઈ છે. શૈક્ષણિક પ્રશાસન ક્ષેત્રે કરવામાં આવેલા નવતર પ્રયોગો, ગુણવત્તાસભર આયોજન તથા શ્રેષ્ઠ કાર્યપદ્ધતિને રાષ્ટ્રીય સ્તરે મળેલી નોંધપાત્ર માન્યતાના પરિણામે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ આર. પાંડેને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી ખાતે આજરોજ યોજાયેલા “Award Function on Innovation and Good Practices in Educational Administration” કાર્યક્રમમાં Department of Educational Administration દ્વારા વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન અમલમાં મૂકવામાં આવેલા નવતર પ્રયોગો અને શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રશાસનિક કામગીરીની નોંધ લઈ આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.

આ ગૌરવપૂર્ણ અવસરે પ્રોફેસર રમાશંકર ડૂબે, ચાન્સેલર, નીપા, નવી દિલ્હી, પ્રોફેસર જે. એસ. રાજપુત, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તથા ભૂતપૂર્વ ડાયરેક્ટર, એનસીઈઆરટી તેમજ નવી દિલ્હીના પ્રોજેક્ટ ડાયરેક્ટરના વરદહસ્તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ પાંડેને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી વિશેષ સન્માન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે અનેક નવીન અને પરિણામલક્ષી પહેલો હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને સર્વાંગી વિકાસની તકો ઉપલબ્ધ કરાવી વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. જેના પરિણામે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પુનઃપ્રવેશ મેળવી સરકારી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે વધતો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત લોકસંયોગ, લોકભાગીદારી અને CSR (Corporate Social Responsibility) ના માધ્યમથી જિલ્લાની સરકારી શાળાઓને વધુ સુસજ્જ અને આધુનિક બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સમાજના દાતાશ્રીઓ, ઉદ્યોગગૃહો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વાલીઓ અને સ્થાનિક સમુદાયના સહયોગથી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક શૈક્ષણિક સાધનો, પુસ્તકાલય, રમતગમતની સુવિધાઓ, સ્વચ્છતા સુવિધાઓ તેમજ બાળમૈત્રીપૂર્ણ અને આકર્ષક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.

“સરકારી શાળા – ગુણવત્તાસભર શિક્ષણનું શ્રેષ્ઠ સરનામું” એવા અભિગમ સાથે વડોદરા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ નવતર પ્રયાસો આજે રાષ્ટ્રીય સ્તરે પ્રશંસનીય અને પ્રેરણાદાયી બન્યા છે. શૈક્ષણિક પ્રશાસનમાં નવીન વિચારોને અસરકારક અમલીકરણ સાથે જોડીને સમાજની સક્રિય ભાગીદારી દ્વારા સરકારી શાળાઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલી કામગીરીને આ રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા વિશેષ માન્યતા મળી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ પાંડેના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે થયેલા આ નવતર પ્રયોગો અને સફળ પહેલો અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. નવી દિલ્હી ખાતે મળેલું આ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ વડોદરા જિલ્લાના સમગ્ર શિક્ષણ પરિવાર, શિક્ષકો, શાળાના વડાઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને લોકભાગીદારીથી જોડાયેલા તમામ સહયોગીઓનું સામૂહિક ગૌરવ છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ આર. પાંડે સાહેબને વડોદરા જિલ્લા શિક્ષણ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

“નવતર વિચાર, અસરકારક અમલીકરણ અને લોકભાગીદારીના સમન્વયથી વડોદરા જિલ્લાનું શિક્ષણ આજે રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ બનાવી રહ્યું છે.

વડોદરા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ યોજાયોશિક્ષક દિન નિમિત્તે વડોદરા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું...
05/09/2026

વડોદરા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ યોજાયો

શિક્ષક દિન નિમિત્તે વડોદરા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું

વડોદરા: ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે તા. ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સાંસદશ્રી ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષકનું કાર્ય માત્ર બાળકોને ભણાવવાનું નથી, પરંતુ તેમના સંસ્કાર, ગુણો અને વ્યક્તિત્વનું ઘડતર કરવાનું પણ છે. સરકારી શિક્ષકો અનેક જવાબદારીઓ નિભાવવાની સાથે બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત મહેનત કરે છે. વિકસિત ભારતના નિર્માણ માટે દેશના યુવાનોને તૈયાર કરવામાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદ પાટીલે જણાવ્યું હતું કે, શિક્ષક દિન એ શિક્ષકોના યોગદાનને સન્માનવાનો અવસર છે. માતા-પિતા પછી બાળકના જીવનમાં શિક્ષકની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. શિક્ષકો માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ બાળકોમાં સંસ્કાર, મૂલ્યો અને આત્મવિશ્વાસનું સિંચન કરીને તેમના જીવનનું ઘડતર કરે છે. શિક્ષકોનું યોગદાન શાળા પૂરતું સીમિત ન રહેતાં સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ છે.

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. એક શિક્ષક પોતાની મહેનત, જ્ઞાન અને નિષ્ઠાથી ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડૉ. રાધાકૃષ્ણન છે. શિક્ષકો સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે તેમના યોગદાનને સન્માનવું સૌની જવાબદારી છે.

જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી ભૂમિકાબેને જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરી તેમનામાં સંસ્કારનું સિંચન કરે છે અને તેમને સફળતાના માર્ગે દોરી જાય છે.

આ પ્રસંગે ધારાસ્ભ્ય શ્રી સતીશભાઇ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આચાર્યશ્રીઓ, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતાઓ

૧. શ્રીમતી નિશાબેન રતિભાઈ માયાવંશી, ઉપશિક્ષક – સેગુવાડા પ્રાથમિક શાળા, તા. ડભોઇ
૨. શ્રી મહેશ નારાયણદાસ ચૌધરી, ઉપશિક્ષક – કડાછલા પ્રાથમિક શાળા, તા. ડેસર
૩. શ્રી પ્રતિકકુમાર જ્યંતિભાઈ પટેલ, ઉપશિક્ષક – દણોલી પ્રાથમિક શાળા, તા. પાદરા
૪. શ્રીમતી મીનાબેન પૂંજાલાલ નાયી, ઉપશિક્ષક – પદમલા પ્રાથમિક શાળા, તા. જિ. વડોદરા
૫. શ્રીમતી ઉર્વશીબેન ભગવાનભાઈ પટેલ, ઉપશિક્ષક – નવાપુરા અંગ્રેજી પ્રાથમિક શાળા, તા. જિ. વડોદરા
જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતાઓ

૧. શ્રી નટુભાઈ ત્રિકમભાઈ પરમાર, મુખ્ય શિક્ષક – એમ. ડી. પટેલ હાઈસ્કૂલ, માધ્યમિક શાળા વિભાગ
૨. શ્રી મહેશકુમાર મનુભાઈ પટેલ, બી.આર.સી. – બીઆરસી સેન્ટર, સી.આર.સી./બી.આર.સી./કેળવણી નિરીક્ષક/એચ.ટાટ કેટેગરી
૩. શ્રીમતી સ્વીટીબેન રમેશકુમાર ધાણધારા, મુખ્ય શિક્ષક – ઇટોલા કૃષિ પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા વિભાગ

વડાપ્રધાનશ્રીના વડોદરા આગમનને જનસેવાના મહાપર્વ સાથે જોડતું જિલ્લા પ્રશાસનનું અનોખું અભિયાનવિવિધ સેવા કેમ્પોના માધ્યમથી ૧...
04/09/2026

વડાપ્રધાનશ્રીના વડોદરા આગમનને જનસેવાના મહાપર્વ સાથે જોડતું જિલ્લા પ્રશાસનનું અનોખું અભિયાન

વિવિધ સેવા કેમ્પોના માધ્યમથી ૧.૩૦ લાખથી વધુ નાગરિકોને સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વડોદરાના આંગણે પધારી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાવાસીઓમાં ગૌરવ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. આ ગૌરવપૂર્ણ અવસરને માત્ર સ્વાગત પૂરતો સીમિત ન રાખી, તેને સેવા, સુશાસન અને જનકલ્યાણ સાથે જોડીને ઉજવવાના ઉદ્દેશથી વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વિવિધ સ્થળોએ વિશેષ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પોનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ન ખાવા પડે અને તેમની રોજિંદી જરૂરિયાતોને લગતી વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી અને ઝડપી રીતે ઉપલબ્ધ બની રહે તેવો છે. કેમ્પો દ્વારા છેવાડાના નાગરિક સુધી સરકારની સેવાઓ પહોંચાડવાની કામગીરીને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.

વિશેષ સેવા કેમ્પોમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, આવક તથા જાતિના દાખલા, જન્મ-મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો સહિતની વિવિધ નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ફ્લેગશિપ યોજનાઓને પણ આ અભિયાન સાથે સાંકળવામાં આવી છે, જેના પરિણામે નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ યોજનાઓની માહિતી, નોંધણી તથા લાભ મેળવવાની સુવિધા પ્રાપ્ત થઈ રહી છે.

આ કેમ્પોમાં આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ફાર્મર રજીસ્ટ્રી, NFSA હેઠળ નવી નોંધણી, નિરાધાર વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય યોજના સહિતની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત દીકરીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપતી વ્હાલી દીકરી યોજના, પાલક માતા-પિતા યોજના, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ હેઠળ પણ સ્થળ પર જ નોંધણી તથા લાભ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં યોજાયેલા વિશેષ સેવા કેમ્પોના માધ્યમથી કુલ ૧,૩૦,૪૦૧થી વધુ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ તથા કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે. જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંકલિત પ્રયાસો થકી નાગરિકોને સરળ, પારદર્શક અને સ્થળ પર જ સેવા મળી રહે તે માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

વડોદરા જિલ્લા પ્રશાસનની આ સમગ્ર પહેલ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. વડાપ્રધાનશ્રીના વડોદરા આગમનના ગૌરવપૂર્ણ અવસરને જનસેવાના પર્વમાં પરિવર્તિત કરીને સરકારની યોજનાઓ અને સેવાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો આ અભિગમ સુશાસન અને જનકલ્યાણની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

વડાપ્રધાનશ્રીના વડોદરા પ્રવાસ પૂર્વે મહાપાલિકા દ્વારા ઘનિષ્ઠ સફાઈ અભિયાનગોત્રી તળાવ અને આસપાસના વિસ્તારમાં સફાઈ સાથે વૃક...
04/09/2026

વડાપ્રધાનશ્રીના વડોદરા પ્રવાસ પૂર્વે મહાપાલિકા દ્વારા ઘનિષ્ઠ સફાઈ અભિયાન

ગોત્રી તળાવ અને આસપાસના વિસ્તારમાં સફાઈ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વડોદરા ખાતે આગામી તા. ૮ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને સૌંદર્યવર્ધનના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ અભિયાન યોજવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત આજે ગોત્રી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તળાવ પરિસર તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સુઘડ પર્યાવરણ મળી રહે તે માટે મહાનગરપાલિકાની ટીમો દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાનની સાથે ગોત્રી તળાવ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. હરિયાળું અને સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ ઘનિષ્ઠ સફાઈ અને વૃક્ષારોપણ અભિયાનમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, અગ્રણી શ્રી જયપ્રકાશ ભાઈ સોની, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. વડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે નાગરિકો પણ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને તે માટે આહવાન કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લામાં આરોગ્ય વિભાગની વિવિધ યોજનામાં સંતૃપ્તિકરણ માટેવિશેષ ઝુંબેશસગર્ભા માતાઓ સહિત જિલ્લાના છેવાડાના લાભાર્થીઓ...
04/09/2026

વડોદરા જિલ્લામાં આરોગ્ય વિભાગની વિવિધ યોજનામાં સંતૃપ્તિકરણ માટેવિશેષ ઝુંબેશ

સગર્ભા માતાઓ સહિત જિલ્લાના છેવાડાના લાભાર્થીઓ સુધી આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવા સઘન કામગીરી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૦૮ સપ્ટેમ્બરના વડોદરા પ્રવાસને ધ્યાને રાખીને વડોદરા જિલ્લામાં તા. ૦૧ સપ્ટેમ્બરથી તા. ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘PM Program Saturation of Flagship Scheme’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનશ્રી સાથે સંકળાયેલી વિવિધ ફ્લેગશિપ યોજનાઓનો વ્યાપ સંપૂર્ણ સ્તરે પહોંચાડી જિલ્લાના છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સુલભ બનાવવાનો છે.

મુખ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, આ વિશેષ ઝુંબેશ અંતર્ગત વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. ગામે-ગામે નમોશ્રી યોજના, PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અને નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ (NCD) કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને જરૂરી સેવાઓ પૂરી પાડવાની સાથે ગામોમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.

તા. ૦૧ સપ્ટેમ્બરથી તા. ૦૩ સપ્ટેમ્બર દરમિયાન નમોશ્રી યોજના અંતર્ગત જિલ્લાના સગર્ભા માતાઓના કુલ ૧,૨૭૧ નવા ફોર્મ ભરવામાં આવ્યા છે. તે પૈકી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કુલ ૯૪૩ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. મંજૂર થયેલા લાભાર્થીઓને રાજ્ય કક્ષાએથી યોજનાકીય ચૂકવણું કરવામાં આવશે. આ ઉપરાંત PMJAY યોજના હેઠળ કુલ ૧૧,૦૧૯ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે, જેના પરિણામે લાભાર્થીઓને વિવિધ બીમારીઓની સારવાર માટે કોઈપણ જાતના ખર્ચની ચિંતા કર્યા વિના ગુણવત્તાસભર તબીબી સેવાઓનો લાભ મળી શકશે.

ગામે-ગામ NCD કાર્યક્રમ અંતર્ગત કુલ ૧,૦૪૮ આરોગ્ય કેમ્પ યોજી ૩૦ વર્ષથી વધુ વયના કુલ ૨૪,૬૭૬ લાભાર્થીઓનું આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. હાયપરટેન્શન અને ડાયાબિટીસ ધરાવતા નવા લાભાર્થીઓને કુલ ૫,૧૯૫ હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યા છે. ઉપરાંત, આ ઝુંબેશ અંતર્ગત આવરી લેવામાં આવેલા ગામોમાં ૮૮ સગર્ભા માતાઓ તથા ૯૩ ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનશ્રીના વડોદરા આગમન પૂર્વે જિલ્લાના તમામ નાગરિકો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો ઝડપથી અને અસરકારક રીતે પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય સેવાઓ, યોજનાકીય લાભો તથા સ્વચ્છતા સહિતની પ્રવૃત્તિઓને છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડીને ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના અભિગમને સાકાર કરવા તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

વડોદરા ખાતે યોજાનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું ‘નમો ફોર વિકસિત ભારત’ નામકરણવડોદરામાં રૂ. ૩૫ હજાર કર...
04/09/2026

વડોદરા ખાતે યોજાનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું ‘નમો ફોર વિકસિત ભારત’ નામકરણ

વડોદરામાં રૂ. ૩૫ હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે, લોગોનુ અનાવરણ

યુનિવર્સિટી પેવેલિયન ખાતે યોજાનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ

વડોદરા શહેરમાં આગામી સપ્ટેમ્બર માસમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અંદાજે રૂ. ૩૫ હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. વડોદરા યુનિવર્સિટી પેવેલિયન ખાતે યોજાનાર આ વિશાળ જાહેરસભાને ‘નમો ફોર વિકસિત ભારત’ નામ આપવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ કાર્યક્રમના સત્તાવાર લોગોનું અનાવરણ રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલ, સાંસદ ડો. હેમાંગભાઈ જોશી, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને શ્રી સતિષભાઈ પટેલ, અગ્રણી શ્રી જયપ્રકાશ ભાઈ સોની, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ તથા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રીના હસ્તે થનાર આ વિકાસકાર્યો વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ગતિ અને દિશા આપશે. વિવિધ ક્ષેત્રોને આવરી લેતા આ વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી માળખાગત સુવિધાઓના વિસ્તરણ સાથે નાગરિકલક્ષી વિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

‘નમો ફોર વિકસિત ભારત’ જાહેરસભામાં નાગરિકોની સુવ્યવસ્થિત અને સુનિશ્ચિત ઉપસ્થિતિ માટે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા લોકો રજિસ્ટ્રેશન કરાવીને તેમની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરી શકશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંબંધિત વિભાગો અને તંત્ર દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વડાપ્રધાનશ્રીના વડોદરા આગમનને અનુલક્ષીને કાર્યક્રમ સ્થળ, સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કાર્યક્રમ સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સંકલિત રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

Address

Vadodara
390001

Alerts

Be the first to know and let us send you an email when Info Vadodara GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Vadodara GoG:

Shortcuts

Share